વાગરાના સુવા ગામે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઇ
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં અને દહેજ પાસેના સુવા ગામે રહેતાં ઉદેસંગ સોમા ગોહિલનો પુત્ર પાર્થ ગત 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનમાં ગયો હતો. જ્યાં ગરબો રમવા બાબતે તેની ગામના જ મુકેશ રાઠોડ સાથે તકરાર થઇ હતી. જોકે, બાદમાં તેમાં સમાધાન થઇ ગયું હતું. અરસામાં બીજા દિવસે પાર્થ અને તેના મિત્રો સુવા ગામના બસ સ્ટેન્ડ પાસે હતાં. તે વેળાં અગાઉના ઝઘડાની રીસ રાખી મુકેશ રાઠોડ, જયેશ રાઠોડ, મહેશ રાઠોડ તેમજ નવીન રાઠોડે તેની સાથે પુન: ઝઘડો કર્યો હતો. તેમણે પાર્થને માર મારતાં હોઇ પાર્થના મિત્રો હર્શિત તેમજ કલ્પેશ તેને બચાવવાનો પ્રયાસ કરતાં ચારેય મળી ત્રણેય મિત્રોને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના આરોગ્યકેન્દ્રમાં ખસેડાયા હતાં. બનાવને પગલે ઉદેસંગ ગોહિલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
