ભરૂચ.
અંક્લેશ્વરના ભડકોદરા ખાતે રહેતાં ચંદન વિજય પ્રતાપચંદ ભડકોદ્રાની જ મદીના રેસિડન્સીમાં રહેતાં તેના કોન્ટ્રાક્ટકર ઝાકીર મોહમદ યુનુસ સાથે તેમની બાઇક પર બેસીને અંક્લેશ્વરથી દહેજ ખાતે આવેલી નિયોજન કંપનીએ જવા નિકળ્યાં હતાં. દહેજની નિયોજન કંપનીમાં તેમનું એસ. એમ. એન્જિનિયરિંગ નામનો ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટક ચાલે છે. તેઓ બાઇક પર જઇ રહ્યાં હતાં. તે વેળાં અટાલી ગામથી દહેજતરફ જતાં રોડ પર એક છોટાહાથી જેવા ટેમ્પોએ રોંગ સાઇડથી તેનું વાહન હંકારી લાવી તેમની બાઇક સાથે અકસ્માત સર્જતા બન્ને રોડ પર ફંગોળાઇ ગયાં હતાં. અકસ્માતમાં ચંદનને ઇજાઓ થઇ હતી. જ્યારે તેના શેઠને ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયાં હતાં. આસપાસના લોકો એકત્ર થઇ જતાં તેમણે તેને 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમના શેઠને વધુ સારવાર માટે અંક્લેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલથ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
