ભરૂચ
ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે ગ્રામ્યસ્તરે સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, જાહેર માર્ગો- ચોક, ફુટપાથ, તળાવ, પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઇ કરાઇ હતી. ગામમાં વૃક્ષારોપણ, શાળા સફાઇ, જાહેર માર્ગો, આંગણવાડી, પંચાયત ઘર સહિતની સફાઇ હાથ ધરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ કર્મચારીઓ દ્વારા સફાઇ અભિયાન તથા રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું હતું.
Advertisement
આ સાથે જ શાળા તથા આંગણવાડીકક્ષાએ પણ જાગૃતિ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. સફાઇ કર્મચારીઓના સન્માન માટે સેલ્ફી પોઈન્ટ બનાવી નાગરિકોને તેની સાથે જોડીને સોશિયલ મીડિયામાં શેર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
