ભરૂચ
ભરૂચના મહમંદપુરા એપીએમસીના વેપારીઓની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. એપીએમસીના સત્તાધિશો દ્વારા સફાઈ. સુવિધા સહિતની કોઈ કામગીરી કરતાં ન હોવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી હોવાનો રોષ ફેલાયો છે. એપીએમસીની પાછળના ભાગે આવેલાં ગ્રાઉન્ડમાં જ કચરાના મોટા ઢગલાં કરી દેવાતાં વેપારીઓ સહિત આસપાસની સોસાયટીમાં રહેતાં લોકો માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધથી પરેશાન થઈ ગયાં છે.
ભરૂચ શહેરના મહંમદપુરા એપીએમસીમાં આસપાસના ગામના લોકો તેમજ અન્ય જિલ્લા રાજ્યમાંથી શાકભાજી, ફળફળાદી સહિતનો સામાન લઈને ખેડૂતો આવતાં હોય છે. ત્યારે તેઓ દ્વારા લવાયેલાં માલ પૈકીનો ખરાબ થઈ ગયેલો કે સડી જાય તેવો માલ સાઈડમાં કરી દેવાય છે. જે બાદ તેનો નિકાલ કરવાનો થતો હોય છે. જોકે, એપીએમસી દ્વારા તેના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરાતી નથી. સફાઈ કામદારો દ્વારા આગળની સાઈડનો તમામ પ્રકારનો કચરો એપીએમસીના પાછળના ભાગે આવેલાં ગ્રાઉન્ડમાં નાંખી દેવાય છે. જેના કારણે ત્યાં કચરા-ગંદકીના ઢગલા થઈ ગયાં છે. સફાઈના અભાવ સાથે એપીએમસીમાં શૌચાલય, બહારથી આવતાં ખેડૂતો માટે બાથરૂમ, પિવાના પાણી સહિતની કોઈ સુવિધાઓ રાખવામાં આવી ન હોવાને કારણે તેઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. બીજી તરફ પાછળના ભાગે એકઠાં કરાયેલાં કચરાના ઢગલાને કારણે વિસ્તારમાં માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ પ્રસરતી રહે છે. આસપાસની સોસાયટીના લોકોને પણ ગંદકી અને દુર્ગંધને કારણે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ત્યારે વરસાદી માહોલમાં સ્થિતી અત્યંત દયનિય બની જતી હોય છે. ગમે ત્યારે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત વચ્ચે વેપારીઓ વેપાર કરવા અને આસપાસની રહિશો રહેવા માટે મજબૂર બન્યાં છે. ત્યારે સ્થાનિક વેપારીઓએ એપીએમસીમાં નિયમીત સફાઈ કરવા સાથે સ્વચ્છતા અને અલગ અલગ પ્રાથમિક સુવિધાઓ ઉપ્લબ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે.
