બહુમતીના જોરે ઘનશ્યામ પટેલ પુન: બિનહરીફ સત્તારૂઢ થવાની શક્યતા
ભરૂચ.
ભરૂચ દૂધધારા ડેરીની આ વખતની ચૂટણી ભારે રસાકસીભરી રહી હતી. ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન અને વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ઘનશ્યામ પટેલ સામે પોતાની પેનલ ઉતારી હતી. જેના કારણે ડેરીની ચૂંટણીનો ભારે રંગ જામ્યો હતો. જોકે, 20 સપ્ટેમ્બરે જાહેર થયેલાં પરિણામોએ એક તરફી નિર્ણય આપ્યો હતો. દૂધધારા ડેરીની કુલ 15 બેઠકો પૈકી ઘનશ્યામ પટેલની પેનલે 10 બેઠકો સર કરી હતી. જ્યારે અરૂણસિંહ રણાની પેનલે પાર્ટી અધ્યક્ષના મેન્ડેડના કારણે બિનહરીફ ચૂંટાયેલા પ્રકાશ દેસાઇ સહિત બે જ બેઠકો મેળવી હતી. જ્યારે ત્રણ અનામત બેઠક પર મહેશ વસાવાના સમર્થકો જીત્યાં હતાં. દૂધધારા ડેરીની 15 પૈકીની 10 બેઠકો પર કબજો જમાવતાં ઘનશ્યામ પટેલ એકંદરે સીધેસીધા પ્રમુખ બની ગયાં છે. જોકેે, સોમવારે 6 ઓક્ટોબરના રોજ એસડીએમની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ચેરમેન પદ માટે મતદાન કરવામાં આવશે. છેલ્લી 5 ટર્મથી ચેરમેનની જવાબદારી નિભાવનાર ઘનશ્યામ પટેલ આ વખતે પણ પુન: ચેરમેન પદે બિરાજે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ઘનશ્યામ પટેલ સામે સોમવારે અન્ય કોઇ ઉમેદવારી કરે તેમ હાલમાં બન્ને પક્ષના સભ્યોની સંખ્યાના આધારે લાગી રહ્યું નથી. જોકે, અંતિમક્ષણે કોઇ દાવેદારી કરે તો પણ બહુમતીના જોરેે ઘનશ્યામ પટેલ જ વિજેતા બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યાં છે.
