સાગબારા તાલુકા તથા દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) નાગરિકોને જાતિ દાખલા મેળવવામાં ગંભીર તકલીફો પડી રહી છે. આ બાબતે અનેક વિસ્તારોમાંથી રજૂઆતો મળી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું કે સાગબારા તાલુકો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલો હોવાથી, ઘણા પરિવારોના લગ્ન સંબંધો મહારાષ્ટ્ર રાજ્ય સાથે બનેલા છે. મહારાષ્ટ્રમાંથી વહૂઓને લગ્ન કરીને લાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં સ્થાયી થયા પછી તેમને સ્થાનિક તંત્ર દ્વારા જાતિ દાખલા આપવામાં આવતાં નથી.
તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા અનાવશ્યક પુરાવાઓની માંગણી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે. જેના કારણે વાસ્તવિક આદિજાતિ પરિવારોને ભારે તકલીફ અને અન્યાય ભોગવવો પડે છે.
આ મુદ્દે શ્રી સંદીપ માંગરોલા દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાનશ્રી તથા આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ કરીને સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે જેથી વાસ્તવિક આદિજાતિ પરિવારોને ન્યાય મળે અને બિનજરૂરી ભ્રષ્ટાચાર અટકાવી શકાય.
તેમણે સાથે જ રાજ્ય સરકારે સાગબારા તથા આજુબાજુના ભરૂચ,સુરત અને વડોદારા જિલ્લાના અન્ય તાલુકાઓ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરીને આવા કેસોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા પણ આગ્રહ કર્યો છે.
આ મુદ્દે સરકારનું તાત્કાલિક ધ્યાન જઈ સમાજને રાહત મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
સંદીપ માંગરોલા
મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
મો. 9099700006
ઇમેઇલ: sandmangrola@gmail.com
