ભરૂચ.
જંબુસરમાં આવેલાં સોની ચકલા વિસ્તારમાં રહેતાં 64 વર્ષના યોગેન ઠાકોર મિસ્ત્રી ગત 25મી ઓક્ટોબરના રોજ તેની પત્ની સાથે સાંજના સમયે ઘરને તાળું મારી વડોદરા તેમના છોકરાના ઘરે ગયાં હતાં. જે બાદ બીજા દિવસે તેઓ રાત્રીના સમયે તેમના ઘરે પરત આવ્યાં હતાં. તેમના ઘરનો દરવાજો બંધ જ હોવાને કારણે તેમણે તેમની ચાવીથી તેમનું તાળું ખોલ્યું હતું. જે બાદ તેઓએ ઘરમાં જઇ તેમનો સામાન મુકી અંદર જતાં રસોડાના નીચેના ભાગે તેમની પત્નીએ મુકેલી જર્મનની પેટી ખુલ્લી હતી. જેમાં મુકેલાં 8 હજાર રૂપિયા રોકડા નહીં જણાતાં ઘરમાં તસ્કરો પ્રવેશ્યાં હોવાનું લાગતાં તેમણે ઘરમાં અન્ય રૂમમાં પણ તપાસ કરતાં તેમના ઘરમાંથી એક દિવસ પહેલાં તેમણે બેન્કમાંથી ઉપાડેલાં રોકડા 50 હજાર તેમજ સોનાચાંદીના દાગીના તેમજ અન્ય રોકડા રૂપિયા મળી કુલ 71 હજાર રૂપિયા અને કુલ 3.05 લાખના સોનાના દાગીના અને 15 હજારના ચાંદીના દાગીના મળી કુલ 3.91 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે આખરે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
