વાગરા.
વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જતી ખાનગી લકઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ છુટી જતા બસ રોડના સાઈડના ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલ્ટી મારી હતી. જાનૈયાઓને લઈને જઈ રહેલ બસ પલટી જતા મુસાફરો ગભરાઈ જવા સાથે ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ વાગરા પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાવેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજામસ્તોને તાત્કાલીક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.
