ભરૂચ
ભરૂચ તાલુકાના કરગટ ગામમાં તળાવના બ્યુટિફિકેશનના નામે કરવામાં આવી રહેલા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સમાજના લોકોનો આક્ષેપ છે કે તળાવની માટી ખોદકામ દરમિયાન તેમની સ્વર્ગસ્થ સ્વજનોની દફનાવવામાં આવેલી જગ્યાએથી હાડપિંજરો બહાર કાઢી માટી સાથે ટ્રકમાં ભરી અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા છે, જે માનવતાના નામે કલંક સમાન છે.
મળતી માહિતી અનુસાર, કરગટ ગામમાં પેઢીદોરથી ઓડ સમાજના લોકો પોતાના સ્વજનોના દફનવિધિ માટે તળાવની જમીનનો ઉપયોગ કરતા આવ્યા છે. હાલ ગામ પંચાયત દ્વારા તળાવના બ્યુટિફિકેશન કામ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. વિરોધ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનથી ખોદકામ ચાલુ રાખતા હાડપિંજરો બહાર આવી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મુદ્દે ઓડ સમાજના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ખોદકામ બંધ કરાવવા, જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની અને આ જમીનને સમાજના નામે ફાળવવાની માંગ કરી છે.
આ બનાવને પગલે ગામમાં રોષની લાગણી ફેલાઈ છે અને તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
