જૈન સાધ્વીઓ ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી દેરોલ તરફ વિહાર કરી રહ્યાં હતાં
ભરૂચ.
ભરૂચ સ્થિત શ્રીમાળી પોળ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર ખાતેથી જૈન સાધ્વીજી ૨૭મી મે ૨૦૨૪ના રોજ તેમના નિયમ મુજબ વિહાર એટલે કે પદયાત્રાનો આરંભ કર્યો હતો. તેવામાં મહમદપુરાથી એક આધેડ વયની વ્યકિતએ તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી. આ વ્યક્તિએ માત્ર પીછો ન કરતા બુમ બરાડા પાડી જૈન સાધ્વીઓને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જૈન સાધ્વીઓ પોતાના નિયમને આધીન હોવાથી તેઓ જે તે પુરૂષની નજીક પણ જઈ શકતા ન હતા ત્યારે તેમણે આધેડ વયના વ્યક્તિને વારંવાર જતા રહેવા સુચના આપી હતી.
આવી પરિસ્થિતિમાં વિહાર સેવક એટલે કે કેટલાક અંતર સુધી જૈન સાધ્વીજી ભગવંત સાથે જનાર દેવલભાઈ કેટલાક અંતર સુધી રહ્યા હતા ત્યારબાદ તેઓ રજા લઈને ભરૂચ પરત ફર્યા હતા. જંબુસર માર્ગ પર સાધ્વીજીઓ આગળ વધી રહ્યા હતા ત્યારે દેરોલ ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુળ ખંભાતનો રહીશ અને હાલ કાચલી પીઠ ખાતે રહેતો અલ્તાફહુસેન હમીદ ઈબ્રાહીમ શેખે ભરૂચથી સતત પીછો કર્યા બાદ સાધ્વીજીઓ પર પટ્ટા વડે હુમલો કરી માર માર્યો હતો. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે જૈન સમાજના વિહાર સેવક હેનિશ દિનેશ શાહની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો. જે અંગેનો કેસ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ. ટી. તિવારીની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. અદાલતે સરકારી વકીલ બબીતા બુધાની તેમજ લર્નેડ એડવોકેટ એન. ડી. શાહની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને અલગ અલગ કલમ હેઠળ કુલ 6 વર્ષની કેદની સજા ફટકારી છે.
Advertisement
