જીપીસીબીમાંથી કંપનીની વિગતો મેળવવાની કવાયત
ઘટનાના ૧૫ દિવસ બાદ પણ કેસમાં કોઈ અપડેટ નહીં
ભરૂચ
ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ પર નબીપુર નજીક આવેલાં શિવકૃપા ભારત પેટ્રોલીયમ સામે હાઈવે અને ખેતરની વચ્ચે આવેલાં ઝરામાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૌભાંડ એલસીબીની ટીમે ઝડપી પાડયું હતું. ઝડપાયેલાં ટેન્કર ચાલકની પુછપરછમાં તેના માલિક સકીલ ખાન (રહે. ખરોડ બીજ પાસેઝના કહેવાથી પાનોલીની રાજલક્ષ્મી ઈન્ડસ્ટ્રી કંપનીમાંથી કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરી લાવી ત્યાં ખાલી કરતો હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત તેણે ઉમેયું હતું કે, કંપનીમાં કામ કરતાં કર્મીઓ તેમજ સંચાલકો સાથે તેમના માલિકની વાતચિત થતી હોય તે લોકો તે પ્રમાણે ટેન્ડરમાં કેમિકલ વેસ્ટ ભરી આપતાં હતાં. ત્યારે સમગ્ર મામલામાં ટેન્કર માલિક તેમજ કંપની સંચાલકો તેમજ સંલગ્ન અધિકારીઓ તથા કર્મીઓ સંડોવાયેલાં હોવા છતાં હજી સુધી તે પૈકીના કોઈની ધરપકડ થઈ શકી નથી. ઘટના બાદથી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હોવા સાથે કંપની પણ બંધ રહેતી હોવાનું અને ડ્રાઈવરના જણાવ્યાનુંસારનું કંપનીનું નામ જે તે સ્થળે રહેલી કંપનીમાં કયાંય ન હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે હાલમાં ટેન્કર ચાલકના જણાવ્યાનુંસારના પ્લોટ પર તપાસ કરતાં ત્યાં કોઈ કંપનીનું નામ ન હોવાથી તેમણે જીઆઈડીસી કચેરીમાં જે તે પ્લોટ કોના નામ પર છે ? ત્યાં કંઈ કંપની ચાલી રહી છે ? તેને કયાં પ્રકારના પ્રોડકશનની પરમિશન છે? તેમાંથી નિકળનારા કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા માટેની એસઓપી શું છે તે સહિતની વિગતો મંગાવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
તપાસમાં ઢિલાસ રહેતાં આરોપીઓ ભાગ્યાની ચર્ચા કેમિકલ વેસ્ટના ટેન્કર માલિકની જાણ થવા છતાં તુરંત એક્શન નહીં લેવાતાં તે ફરાર થઈ ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ કંપનીમાં જેમણે કેમિકલ વેસ્ટ ભરી આપ્યો તે આરોપીઓને પણ તુરંત સકંજામાં લઈ શકાય તેમ હોવા છતાં કાર્યવાહીમાં ઢિલાસ રાખવાને કારણે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
