ભરુચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા 100 નકલોનું વિતરણ કરાયું
ભરૂચ.
મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પ્રથમવાર વાચકો સુધી પહોંચ્યા તેને સદી પુરા થયા છે. આજેથી સદી પહેલા, ૨૯ નવેમ્બર ૧૯૨૫, નવજીવન સામયિક, જેનાં તંત્રી સ્વ. મહાત્મા ગાંધીજી હતા, તેમા હપ્તાવાર આ આત્મકથાનું પ્રકાશન શરૂ થયું હતું.
ગાંધીજીના જીવન, ચિંતન, નૈતિકતા અને સત્યપ્રયાણનો આ અમૂલ્ય ગ્રંથ આજે વિશ્વની અનેક ભાષાઓ ઉપરાંત ૨૨ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને દેશ-વિદેશની અનેક યુનિવર્સિટી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમનો મહત્વનો ભાગ છે. આ ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરુચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગૌરવસભર ઉપક્રમ રૂપે ૧૦૦ કરતાં વધુ નકલોનું વિતરણ કરવામાં આવ્યું, જેનું નેતૃત્વ સેવાદળ પ્રમુખ CA જયદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. આ પગલું યુવાનો-વિદ્યાર્થીઓમાં ગાંધીચિન્તન પ્રત્યે પ્રેરણા, જાગૃતિ અને અભ્યાસની ભાવના પ્રગટાવવા માટે ઉદ્દેશિત છે. સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે—પણ ગાંધીજીનું સત્ય, અહિંસા અને મૂલ્યોનો પ્રકાશ આજે પણ અખંડ દીપની જેમ માર્ગદર્શન આપે છે. ગાંધી વિચારો માત્ર ઇતિહાસ નથી, એ ભવિષ્યનું માર્ગદર્શક દર્શન છે.
