રાત્રે આમ આદમી પાર્ટીની મહોલ્લા સભા યોજાયાં બાદ મામલો ગરમાયો
નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી
ભરૂચ
ભરૂચ તાલુકાના નાંદ ગામે આમ આદમી પાર્ટીની મહોલા સભા બાદ એક પરિવારના સભ્યો પર અન્ય પાર્ટીના લોકોએ હૂમલો કર્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે કર્યો હતો.
ભરૂચ તાલુકામાં આવેલાં નાંદ ગામે ૨ ડિસેમ્બરની રાત્રીએ આમ આદમી પાટી દ્વારા મહોલ્લા સભાનું આયોજન કર્યું હતું. સભા પૂર્ણ થયાં બાદ બધા પોતપોતાના ઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં ગામમાં નવીનગરી વિસ્તારમાં રહેતાં ભરત અમીર વસાવા તેમના પુત્રો સાથે ઘરના ઓટલા પર બેઠાં હતાં. તે વેળાં તેમના ઘર પાસે રહેતાં વિજય ભરત વસાવા, અલ્પેશ ભરત વસાવા, સતિષ શના વસાવા, શના અભેસંગ વસાવા ફળિયામાં ઊભા હતાં. તે વેળાં તેમનો પુત્ર વિશાલ ફળિયામાં ગયો હતો. તેને જોઈને તેમણે અગાઉની ઝઘડાની રીસ રાખી ગમે તેમ અશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. જેથી વિશાલે તેમને અપશબ્દો કેમ બોલો છો તેમ કહેતાં વિજય તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે, વિશાલે ખોટી બબાલમાં નથી પડવું તેમ વિચારી ઘરે જતો રહ્યો હતો. જોકે, વિજય અને તેના સાથીઓ લાકડીના સપાટા લઈને ત્યા આવ્યા હતાં અને તેમના પર હુમલો કરતાં તેમના ભત્રીજા ધર્મશ રમણ વસાવા, રમણ અમીર વસાવા, ભરત અમીર વસાવા, વિશાલ સહિતનાઓને ઈજાઓ થતાં તેમને તાત્કાલિકા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના પિયુશ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ ગામમાં મહોલ્લા સભા યોજી હતી. જેમાં ભરત વસાવા સહિતના ત્યાં આવ્યાં હતાં. જેથી તેની રીસ રાખી ભાજપના ટેકદારોએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનામાં આરોપીઓને છાવરવાના પ્રયાસ થઈ રહ્યાં છે. પોલીસ ફરિયાદમાં પણ ભાજપના કાર્યકરો તરીકેની ખરાઈને નોંધી નથી.
