ભરૂચના ઝનોર ગામે નજીવા મુદ્દે પરિવાર પર પિતા-પુત્રનો હુમલો
ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે હનુમાન ફળિયામાં રહેતાં કરીશ્મા સોમા માછીના માતા કાશીબેન તેમજ તેમના ફળિયાના માણસો ડાકોર ખાતે રણછોડ રાય ભગવાનના દર્શન કરવા નિકળ્યા હતા. દરમિયાનમાં સવારે સાતેક વાગ્યે તેઓ તેમના ઘરની બહાર બેસીને તુવેર ફોલતી હતી. તે વેળો તેમના ફળિયામાં રહેતો કૌટુંબિક નકુલ કંચન માછી તેનો મોબાઈલ તેની તરફ રાખી જોતો હતો, જેથી તેને એમ લાગ્યું હતું કે તે તેનો ફોટો પાડતો હોય કે વિડીયો ઉતારતો હોય તેવો શક જતાં તેણે તેના પિતા અને ભાઈ સંતોષને જાણ કરતાં તેઓ નકુલને તે બાબતે પુછવા જતાં નકુલ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો. તેમજ ઘરમાંથી લોખંડની કુહાડી લઈ આવી તેમના પર હુમલો કરતાં કરીશ્મા અને તેના પિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અરસામાં નકુલનું ઉપરાણું લઈ તેના પિતા કંચન પણ લોખંડની પાઈપ લઈ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે પણ તેમને માર માર્યો હતો. ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
