અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં ક્ષણોમાં જ બંને વાહનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર ચંપાબહેન વસાવા જીવતા જ ભૂંજી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અથડામણ થતાં રિક્ષા પલટી ખાઈ ગઈ અને સેકન્ડોમાં જ આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી. રિક્ષામાં સવાર ચંપાબહેન બહાર નીકળવાનો પ્રયત્ન કરે તે પહેલાં આગે તેમને ઘેરી લીધા હતા. સાથે જ રિક્ષામાં સવાર શર્મિષ્ઠાબહેન વસાવા, નીલાબહેન વસાવા અને મુસાફર બબલુકુમાર ગંભીર રીતે દાઝી ગયા હતા. સૌને પ્રથમ ગડખોલ PHC અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
રિક્ષામાં ચાલક સહિત કુલ છ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ મહિલાઓ — ચંપાબહેન, શર્મિષ્ઠાબહેન અને નીલાબહેન — કોંઢ ગામથી ઘરકામ માટે અંકલેશ્વર જતાં હતાં. દુર્ઘટનામાં ચંપાબહેનનું મોત થયું છે, જ્યારે બાકીની બે મહિલાઓ તેમજ બબલુકુમાર ગંભીર રીતે દાઝ્યા છે. રિક્ષામાં સવાર એક યુવતી સમયસર દોડી બહાર આવી જતાં બચી ગઈ છે. રિક્ષા ચાલક અને બાઇકચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે.
મુસાફર હિતેશ કુમારના જણાવ્યા મુજબ, “રિક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઈ ગઈ હતી અને અથડામણ બાદ બાઇક સાથે રિક્ષા બળી ગઈ હતી. અમે બે માસીઓને બહાર કાઢી શક્યા, પરંતુ એક માસી અંદર જ બળી ગઇ.”
ઘટનાએ વિસ્તારમાં શોક અને ભયનું માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
