ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓ બે બોટ વચ્ચે પાટીયુ મૂકી જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે. જેટી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થઇ રહ્યું છે
નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામે કાંઠે ઉત્તર તટે આવેલા મીઠીતલાઇ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે.
પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે ૧૦-૧૫ ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી ૬ થી ૮ ફૂટની ઊંડાઈ પખવાડિયાના આઠમથી બારસ સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી. જેને કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી. ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધી છે. આ વર્ષે જ ૪ થી ૫ વખત આવી બાધા ઊભી થતાં પરિક્રમા વાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવે છે.આ અંગે હોડી ઘાટના સંચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરી છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રો રો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
