ભરૂચ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ દ્વારા નેત્રંગ તાલુકાના વાંકોલ ગામે પાપડીના પાકમાં નવી જાત જી.એન.આઇ.બી-૨૨ અંગે ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન આપવામાં આવેલા નિદર્શનોમાં આ નવી જાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ વેલાવાળી શાકભાજીની નવી જાત અંગેની માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તથા ખેડૂતોને યોગ્ય ટેક્નિકલ માર્ગદર્શન મળી રહે તે હેતુસર ક્ષેત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાપડીના પાકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને વધુ ઉપજ અને સારા ભાવ કેવી રીતે મેળવી શકાય તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, જી.એન.આઇ.બી-૨૨ જાતની વિશેષ લાક્ષણિકતા એ છે કે, આ જાતમાં એક વખત વેલો આવે પછી જાતે જ સુકાઈ જાય છે, ત્યારબાદ ફરી વેલો આવતો નથી. પરિણામે લોકલ જાતોમાં વારંવાર વેલો કાપવાની જે સમસ્યા રહે છે તે આ જાતમાં આવતી નથી. ઉપરાંત, આ જાતની ઉત્પાદન ક્ષમતા અન્ય જાતોની તુલનામાં વધુ હોવાથી ખેડૂતો માટે આ જાત અત્યંત લાભદાયી સાબિત થાય છે.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ગૌ આધારિત ખેતી પદ્ધતિ અપનાવવાની સલાહ આપવામાં આવી હતી. ગૌ આધારિત ખેતી દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમજ જમીન, માનવ આરોગ્ય અને પ્રકૃતિને નુકસાન થતું અટકાવી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનતા બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા દ્રવ્યોનો ખેતીમાં ઉપયોગ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્ર એમ. પટેલ, દેવેન્દ્ર જે. મોદી, હર્ષદ એમ. વસાવા, હરેશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
