શનિવારે વહેલી સવારે ૪.૫૬ વાગ્યે આવેલાં ૨.૮ રીક્ટર સ્કેલના ભુકંપનું એપીસેન્ટર જંબુસરના ટંકારીયા ગામ પાસે નોંધાયું
। ભરૂચ !
ભરૂચ જિલ્લામાં મળસ્કે ૪:૫૬ વાગ્યાના અરસામા રચી ૩ સેકન્ડ માટે ધરા ધ્રુજી હતી. ભુકંપ વહેલી સવારે આવ્યો હોઈ ભરૂચ શહેરમાં કોઈ ખાસ અસર જણાઈ ન હતી. જોકે, જંબુસર પંથકના ગામ્ય વિસ્તારમાં તેની અસર જણાઈ હતી. ભરૂચ જિલ્લામાં નોંધાયેલાં ૨.૮ રીક્ટર સ્કેલના ભુકંપનું એપીસેન્ટર જંબુસર તાલુકામાં આવેલાં ટંકારિયા ગામ પાસેનું ટંકારી બંદર ખાતે જમીનમાં ૨૩ કિમી અંદર નોંધાયું હતું છેલ્લા ૫૫ વર્ષમાં એટલે કે ૧૯૭૦થી ૨૦૨૫ સુધીના ગાળામાં ભરૂચ જિલ્લામાં એપીસેન્ટર હોય એવા ૧૫ ભુકંપના આંચકા જિલ્લાવાસીઓએ અનુભવ્યા છે.
ભરૂચ જિલ્લામાં શનિવારે મળસ્કે ૪.૫૬ વાગ્યે ૨.૮ રીક્ટર સ્કેલનો ભુકંપ નોંધાયો હતો. જિલ્લામાં જંબુસર તાલુકામાં આવેલાં ટંકારીયા ગામ પાસેના ટંકાર બંદર પાસે જમીનમાં ૨૩ કિમી અંદર ભુકંપનું એપીસેન્ટર નોંધાયું છે. ત્યારે ટંકારી બંદર તેમજ તેની આસપાસમાં આવેલાં ગામોમાં અચાનક ધરા ધ્રુજતાં લોકોમાં ફફડાંટ ફેલાયો હતો. અને ભુકંપના ડરને કારણે તુરંત ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જોકે, માત્ર બેથી ત્રણ સેકન્ડ માટે જ ભૂકંપની અસર અનુભવાઈ હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લે વર્ષ ૨૦૨૦માં ૩ ઓગષ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે અને બાદમાં ૭મી નવેમ્બરે ભુકંપ નોંધાયો હતો. જેમાં ૩ ઓગષ્ટ રક્ષાબંધનના દિવસે ભરૂચથી ૭ કિમી દૂર કેબલ સ્ટેઈડબીજ નજીક અંકલેશ્વર તરફ નોંધાયેલાં ભુકંપની તીવ્રતા ૩.૩ નોંધાઈ હતી. જ્યારે ૭ નવેમ્બરે આવેલાં ૪.૪ રેક્ટર સ્કેલ ધરાવતા ભુકંપનું એપિસેન્ટર નેત્રંગના મોટા માલપોર ગામ પાસે નોંધાયું હતું. ત્યારે નોંધવું રહ્યું કે, છેલ્લા ૫૫ વર્ષમાં એટલે કે ૧૯૭૦થી અત્યાર સુધી એટલે કે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ભરૂચ જિલ્લામાં એપીસેન્ટર હોય તેવા ૧૫ ભુકંપ નોંધાયાં છે. અત્યાર સુધીમાં ભરૂચ શહેરમાં નોંધાયેલાં ભુકંપોની તીવ્રતા ૫.૪ રીક્ટર સ્કેલથી ૨.૬ રિક્ટર સ્કેલ વચ્ચે રહી છે. ભરૂચમાં ૧૯૭૦માં ૨૩મી માર્ચના રોજ ૫.૪ રીક્ટર સ્કેલનો ભુકંપ આવ્યો હોત, જે અત્યાર સુધીનો સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે.
