ભરૂચ: 25 ડિસેમ્બર, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય, ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સ્વ. અટલબિહારી બાજપાઈજીના પ્રતિમાચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓએ અટલજીના જીવનપ્રસંગો, તેમની રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા.
સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે, અટલબિહારી બાજપાઈજી દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો, પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે અટલજીના વિચારો આજના સમયમાં પણ માર્ગદર્શક બની રહ્યા છે અને તેમના પગલાંઓ પરથી ચાલવું એ સચોટ શ્રદ્ધાંજલિ છે.
આ કાર્યક્રમમાં શહેર તથા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે અટલજીના સ્વપ્ન સમાન મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
