ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર તથા નાગરિકોની અવરજવર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે, જેના કારણે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
આજ રોજ શુક્રવારે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે એપીએમસી માર્કેટથી મનુબર ચોકડી સુધીના માર્ગ પર સ્થિત દુકાનો, લારી-ગલ્લા અને અન્ય રીતે કરાયેલા ગેરકાયદેસર દબાણોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને મૌખિક તથા લેખિત રીતે સૂચના આપવામાં આવી હતી કે તેઓ સ્વયં પોતાના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવી લે.
પાલિકા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો સોમવારના રોજ જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની નુકસાન માટે જવાબદારી દબાણકારોની રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે શહેરના આ માર્ગ પર રોજિંદા મોટી સંખ્યામાં વાહન વ્યવહાર રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ અકસ્માતોની શક્યતા પણ વધતી હતી. નાગરિકોની સલામતી અને માર્ગ વ્યવસ્થા સુચારુ રાખવા માટે તંત્ર દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું છે.
ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી
Advertisement
