કાર્યકરોએ કાર્યક્રમમાં ભાગ લઈ પક્ષની પરંપરા અને વિચારધારાને સ્મરણીય બનાવી
ભરૂચ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસના અવસરે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પક્ષના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,મકબુલ અભલી સહિતના આગેવાનો તથા કાર્યકરોએ કાર્યક્રમમાં ભાગ લઈ પક્ષની પરંપરા અને વિચારધારાને સ્મરણીય બનાવી હતી. આયોજિત કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ દેશની સ્વતંત્રતા માટે કોંગ્રેસે ભજવેલી ઐતિહાસિક ભૂમિકાને યાદ કરી હતી. સાથે સાથે લોકશાહી મૂલ્યો, બંધારણ અને દેશહિત માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી દેશના રાજકીય અને સામાજિક જીવનમાં પક્ષની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
