દહેજ નજીક લુવારા ગામ ખાતે બનેલી ઘટના
ભરૂચ.
જંબુસરના પાંચકડા ગામના વતની વિષ્ણુ મણીલાલ રાઠોડ તેમજ તેમનો રોજગારી માટે દહેજ નજીક આવેલાં લુવારા ગામની નવીનગરી વિસ્તારમાં સ્થાયી થયો હતો. તેઓ છુટક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાંં. રાત્રીના સમયે તેઓ તેમની પત્ની અનિતાને હું ગામમાં દુકાને જાઉ છું કહીને ઘરેથી નિકળ્યાં હતાં. એકાદ કલાક બાદ અનિતાબેન કામ કરી રહી હતી. તે વેળાં ઘરની બહાર તેમના મામાના પુત્ર કિરીટની બુમાબુમ કરવાનો અવાજ આવતાં તેમણે ઘરની બહાર નિકળીને જોતાં તેમના પતિને ઘર પાસે આવેલી એક દુકાનના બાંકડા પર બેસાડેલાં હતાં. તેમજ તેમના માથામાંથી લોહીં નિકળતું હતું. જેથી તેમણે તેમના મામાના પુત્રને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તે તેમજ વિષ્ણુ અને ગામમાં રહેતો અનિલ સુકા રાઠોડ ગુપ્તાની દુકાન પાસે ખુલ્લી જગ્યાએ બેસીને વાતો કરી રહ્યાં હતાં. દરમિયાનમાં વાત-વાતમાં વિષ્ણુ અને અનિલ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. મામલો ગરમાતાં તેઓ ઝઘડો કરવા લાગ્યાં હતાં. દરમિયાનમાં અનિલે નજીક પડેલો એક લાકડાનો ડંડો ઉંચકી વિષ્ણુના માથામાં લમણાંના ભાગે ભારી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ અનિલે તેને હવે ફરી ઝઘડો કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઘટનાને પગલે અનિતાએ તેના ઇજાગ્રસ્ત પતિ વિષ્ણુને 108ની મદદથી સારવાર માટ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
