ખનીજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારીનાં કામો અર્થે રૂ.૧૦.૫૯ કરોડના આયોજનને અપાઈ મંજૂરી
ભરૂચ
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ની મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૧૬ થી ડી.એમ.એફ. રૂલ્સ-૨૦૧૬થી ખનિજ અસરગ્રસ્ત ગામ તથા તે ગામની પ્રજાની સુખાકારી માટે પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણ હેતુ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લાના ખાણ- ખનીજથી અસરગ્રસ્ત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવિત વિસ્તારોમાં માળખાકીય લોકસુખાકારીના કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ભરૂચ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ માટેના નવા કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. વિકાસ માટેની કટિબદ્ધતાના ભાગરૂપે આયોજનમાં આરોગ્ય, શિક્ષણ અને પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ અગાઉના વર્ષોમાં મંજૂર કરવામાં આવેલા અને હાલ પ્રગતિ હેઠળ રહેલા કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચ જીલ્લાના ખનીજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારીનાં કામો અર્થે કુલ રકમ રૂ.૧૦.૫૯ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં શિક્ષણ માટે ૩૯ કામના ૪૯૮.૦૫ લાખ, પાણીની સુવિધાના ૫ કામ પેટે ૬પ.૦૦ લાખ, સ્વચ્છતાના ૧૦ કામ પેટે ૮૬.૦૦ લાખ, પર્યાવરણ જાળવણી તથા પ્રદૂષણ નિવારણના ૬ કામ પેટે ૨૨૦.૦૦ લાખ, પશુપાલન ક્ષેત્રે ર કામ પેટે ૧૬.૦૦ લાખ અને ભૌતિક સુવિધા ક્ષેત્રે ૧૭ કામ પેટે ૧૭૪.૦૦ લાખનો કામો મંજુર કરવામાં આવ્યા છે. જેના થકી ખનન પ્રવૃત્તિથી પ્રભાવિત વિસ્તારના લોકોને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં લાભ મળશે.
આ બેઠક દરમ્યાન જિલ્લા સમાહર્તાએ જિલ્લાના વિકાસને વેગ આપવા અને DMF ના ભંડોળનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તાસભર કામ કરવા પર ભાર મૂક્યો હતો. બજેટની કોઈ કમી નથી, બસ પ્રજાની સુખાકારી માટે સમય પર શ્રેષ્ઠ આયોજન અને અમલીકરણ જરૂરી તેમ ભાર પૂર્વક કહ્યું હતું. તેમજ બાકી રહેલા કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
વધુમાં તેમણે, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) માં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવા માટેના કામો તેમજ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે લડવા માટે ગ્રીન કવર વધારવા પર ભાર મુકી વૃક્ષારોપણના કામોને પણ પ્રાધાન્ય આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
અત્રે ઉલ્લખનિય છે કે, જીલ્લામાં આવેલ લીઝ વિસ્તારમાંથી ઉત્પાદન થતા ખનિજ જથ્થાના પ્રતિ મે.ટન રોયલ્ટીના ૩૦% તેમજ ૧૦% લેખે રકમ અલગથી DMF ફંડમાં જમા થાય છે. જે ફંડનો ઉપયોગ પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, વૃદ્ધ અને વિકલાંગ કલ્યાણ ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ જાણવણી તથા પ્રદુષણ નિવારણ, હાઉસિંગ, ખેતીવાડી, પશુપાલન ભૌતિક માળખાકીય સુવિધા, સિંચાઈ સુવિધા, ઉર્જા તથા વોટરશેડ વિકાસ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા અન્ય પગલા ક્ષેત્રે ફંડની ફાળવણી કરવા જોગવાઈ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં સમિતિના સભ્યો, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
