વીર નર્મદ યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઈલ વોર્ડની વ્યવસ્થા કરાઇ છે. સમરસ બોયઝ હોસ્ટેલના 4 બિલ્ડિંગો પૈકી 2 બિલ્ડીંગ હાલ પાલિકાએ મેળવ્યા છે.
જેમાં 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. શારજાહથી આવનારા તમામ પ્રવાસીઓને 14 દિવસ સુધી અહીં ફરજિયાત ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તે વ્યક્તિને સિવિલ અથવા સ્મીમેર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.કેન્દ્રમાંથી જે ટ્રાવેલ એડવાઇઝરી આવી છે તે મુજબ 18 મીથી સવારે 6:30 વાગ્યા પછી જે મુસાફરો વિદેશથી આવે છે તેમને 14 દિવસ સુધી કોરેન્ટાઇલ વોર્ડમાં રખાશે. મંગળવારે રાત્રે જે મુસાફરો આવશે તેમને ઘરે જ રહેવા માટે અને રોજેરોજ ચેક કરાશે. મંગળવાર રાતની ફલાઇટમાં આવેલા કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાય તો તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ હોવાનું પાલિકા કમિશનર બંચ્છાનિધિ પાનીએ જણાવ્યું હતું.પાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.એચ. ઉમરીગરે જણાવ્યું હતું કે, શારજાહથી આવતી તમામ ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓને સમરસ હોસ્ટેલમાં કોરન્ટાઈન કરવામાં આવશે. ત્યાં 14 દિવસ સુધી પ્રવાસીઓને પ્રાથમિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જો કોઈ શંકાસ્પદ લક્ષણ જણાય તો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. આજે પાલિકા કમિશનર અને કલેકટર દ્વારા સમરસ હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી અને તમામ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કોરોન્ટાઇલ વોર્ડમાં જે લોકો રહેશે તેમની નજીક અન્ય કોઇ વ્યક્તિ ન પહોંચે અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યુનિવર્સિટીમાં બનાવેલા કોરોન્ટાઇન વોર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાઇ છે.
સુરતમાં ફલાઈટ મારફતે શારજાહથી સુરત આવતા તમામ પ્રવાસીઓને 14 દિવસ માટે કોરોન્ટાઈલ વોર્ડમાં રખાશે.
Advertisement