મા ભોમની રક્ષા માટે દિન-રાત ખડેપગે રહી સીમાડાઓની રક્ષા કરનારા વીર જવાનો તથા તેમના પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરવાના અનેરા અવસર ૭ મી ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે સૈનિક કલ્યાણ નિધિમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે પોતાનો વ્યકિતગત ફાળો આપીને જવાનો પ્રત્યે ઋણ અદા કર્યું હતું.
કલેકટર એ દેશના સીમાડાઓથી માડીને પુર-વાવાઝોડા-ભુંકપ જેવી કુદરતી આપત્તિઓના સમયે નાગરિકોના જાન-માલ બચાવ અને રાહતની કામગીરી કરનારા વીર જવાનો તથા તેમના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરએ પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્યના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી દિપક તિવારી, પુનઃવર્સન કચેરીના હેડ કલાર્ક જે.બી. ટાંક, કલ્યાણ વ્યવસ્થાપક ડી.એ.રાઠોડ, જુનિયર ક્લાર્ક ડી. એમ.ખેંગાર, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર તા.૭ ડિસેમ્બર ૧૯૪૯ થી સમગ્ર દેશમાં ‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’’ ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં, ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લ્યુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસ્સું ઘેલું છે.
‘‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસે’’ ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે. જેનો ઉપયોગ દેશની રક્ષા કાજે શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના પુન:વસવાટ માટે તેમજ ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે કરવામાં આવે છે. કોઈ પણ વ્યકિત પોતાનો ફાળો સુરત ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે રોકડમાં અથવા ડ્રાફટ/ચેક કલેકટર અને પ્રમુખ, સશસ્ત્ર સેના ધ્વજ દિનફંડ, સુરતના નામનો જમા કરાવીને સરકારી પહોચ મેળવી શકે છે.