Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં સરકારી અનાજનું કાળાબજાર થતું હોવાની બુમ

Share

ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો મહદઅંશે આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકાની મોટાભાગની વસ્તી ગરીબ આદિવાસી પ્રજા છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના માધ્યમથી ગરીબ પરિવારોને દર મહિને રાહત દરનું અનાજ આપવામાં આવતું હોય છે. ઝઘડિયા તાલુકામાં પણ ઘણા ગામોએ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે. તાલુકામાંથી સરકારી અનાજનો કેટલોક જથ્થો પગ કરી જતો હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી છે. કેટલાક સરકારી દુકાનદારો એનકેન પ્રકારે લોકોને આપવાના અનાજના જથ્થામાંથી કેટલોક બારોબાર ક‍ાળાબજારમાં અન્ય ખાનગી દુકાનદારોને પધરાવી દેતા હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.

લોકોના ભોગે કાળાબજાર કરીને બેનંબરની આવક ઉભી કરનારા આવા બેનંબરીયા વેપારીઓને તંત્ર દ્વારા આડકતરી રીતે છાવરવામાં આવતા હોવાની પણ બુમો ઉઠી રહી છે. સામાન્યરીતે સરકારી અનાજનો જથ્થો જેતે લાભાર્થીને રેશનકાર્ડ પર આપવામાં આવતો હોય છે. આ રેશનકાર્ડ એપીએલ બીપીએલ તેમજ અંત્યોદય કેટેગરી મુજબના હોય છે. જે-તે ક‍ાર્ડ ધારકને આપવામાં આવતું રેશનકાર્ડ તેની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તેને યોગ્ય કેટેગરી મુજબનું આપવાનું હોય છે, પરંતું આમાં પણ લાલીયાવાડી ચાલતી હોવાની વાતો જાણવા મળી છે. ઝઘડિયા તાલુકામાં હાલ જો રેશન ક‍ાર્ડો બાબતે ન્યાયિક તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે. ત‍ાલુકામાં હાલ ઘણી યોગ્ય વ્યક્તિઓ બીપીએલ રેશનકાર્ડથી વંચિત છે, જ્યારે ઘણા આર્થિક રીતે સધ્ધર અને જેમના નામ બીપીએલ યોજનામાં નથી તેવી ઘણી વ્યક્તિઓ બીપીએલ રેશનકાર્ડ ધરાવતી હોવાની વાતો પણ જાણવા મળી છે. આડેધડ બીપીએલ રેશનકાર્ડો પુરવઠા વિભાગ દ્વારા કેવી રીતે બનાવાયા, એ બાબતે પણ સવાલો ઉભા થયા છે. વધુમાં ચર્ચાતી વાતો મુજબ તાલુકાના ઝઘડિયા, ઉમલ્લા રાજપારડી જેવા બજાર વિસ્તારોમાં ઘણા ખાનગી દુકાનદારો પાસે સરકારી અનાજનો જથ્થો વેચાણ માટે જતો હોય છે. સરકારી લખાણવાળા કોથળા બદલી નાંખીને સાદા કોથળાઓમાં આવા સરકારી અનાજનો જથ્થો ભરીને પણ વેચાણ માટે લઇ જવાતું હોવાની પણ બુમો ઉઠી રહી છે. જિલ્લાનો પુરવઠા વિભાગ સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારોના રજિસ્ટરો, ગ્રાહકોના રેશનકાર્ડો ઉપરાંત ખાનગી દુકાનદારોના ગોડાઉનો દુકાનોની તલસ્પર્શી અને ન્યાયિક તપાસ કરવા આગળ આવે તેવી લોકલાગણી તાલુકાની જનતામાં જોવા મળી રહી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નવસારી ગણેશ ઉત્સવ મંડળ સંગઠન આયોજીત દહીં હાંડી સ્પર્ધામાં 12 ટીમો એ ભાગ લીધો..

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું : કાંઠા વિસ્તારો હાઈ એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!