ઝધડિયા નજીકના ગુમાનદેવ પાસેના વિસ્તારમાંથી એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે. વનવિભાગના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું અનુમાન છે. જે સ્થળેથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે ત્યાં થોડા દિવસો અગાઉ જ દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું અને તેનાથી થોડે દૂર જ દીપડો મૃત હાલતમાં મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સંભળાય રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઝધડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર તેમજ ધોરીમાર્ગ આસપાસના વિસ્તારમાં દીપડાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતો અને ખેતમજુરોમાં ભયનો માહોલ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ પીંજરા મૂકી દીપડાઓને પકડીને સલામત સ્થળે છોડવામાં પણ આવ્યા છે. પરંતુ હજી તાલુકામાં ઘણીવાર દિપડા દેખાતા હોઇ, તેનો ભય યથાવત રહ્યો છે. ખેડૂતોની દીપડો દેખાવાની ફરિયાદના આધારે ઝધડિયા વન વિભાગ દ્વારા ઝધડિયાના ગુમાનદેવ પાસેની એક શાળાના પાછળના વિસ્તારમાં દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું. આજરોજ વહેલી સવારે વન વિભાગને માહિતી મળી હતી કે તે પીંજરાની પાસે એક દીપડો મૃત હાલતમાં પડ્યો છે. ઝધડિયા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધટનાસ્થળે પહોંચ્યા હતા. પિંજરાથી થોડે દૂર દીપડો મૃત હાલતમાં પડ્યો હતો. મૃત દીપડાની ઉંમર આશરે અઢી વર્ષની હોવાનું અનુમાન છે અને તેની લંબાઈ ૫ ફૂટ જેટલી છે. દીપડાના મરણ બાબતે જાણવા મળ્યા મુજબ કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું પ્રાથમિક તારણ છે અને વધુ સ્પષ્ટતા તેના પોસ્ટમોર્ટમ બાદ લેબોરેટરીના રીપોર્ટ પછી જાણી શકાશે. દીપડાના મોત બાબતે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ