ભરૂચ શહેરના પારસીવાડ (લોહારવાડ) વિસ્તારમાં પાયોનિયર હાઇસ્કૂલ નજીક આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદ (જામા મસ્જિદ) અંગે જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામામાં સુધારા સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થળને રાષ્ટ્રીય સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલ હોવાથી સ્મારકની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણેએ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ 33(1)(સી) હેઠળ આ સુધારિત જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ તેમજ પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.
જો એકસાથે મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવે તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાના જૂથોમાં તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત, પુરાતત્વ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતી માર્ગદર્શિકાનું પણ કડક પાલન કરવું પડશે.
જાહેરનામા મુજબ સ્મારકને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્મારકની દિવાલોમાં ખીલી મારવી, કોઈ વસ્તુ ચોંટાડવી, મિલકતમાંથી કોઈ ભાગ તોડવો કે ઉખાડવો, વિસ્ફોટક સામગ્રી રાખવી, વધુ અવાજ પેદા થાય તેવા વાજિંત્ર વગાડવા તેમજ સ્થળ પર રસોઈ બનાવવી જેવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
જિલ્લા તંત્રએ ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યું છે.
