ગરબા આયોજકોએ માત્ર પહેલાં દિવસે માઈ પૂજા કરી, કેટલાંક સ્થળે માતાજીના ૫ ગરબા ગવાયાં
ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાં નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે માઈ ભક્તો થનગની રહ્યાં છે. ત્યારે એક તરફ હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી અને બીજી તરફ બપોરે બે વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદી માહોલ જામતાં ખેલૈયાઓના અરમાનો પર પાણી ફરી વળ્યાં હતાં. ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ગરબા આયોજકો ચિતાંતુર બન્યા હતાં.
ભરૂચ શહેર જિલ્લામાં નવલી નવરાત્રીના નવ દિવસ જોકે આ વર્ષે ૧૦ દિવસની નવરાત્રી છે ત્યારે નોરતામાં ગરબે ઘૂમવા માટે ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જામ્યો હતો. નવરાત્રીના દશેદશ દિવસ અલગ અલગ ડ્રેસથી માંડી ગરબાના અવનવા સ્ટેપ્સની તૈયારીઓ કરીને ખેલૈયાઓ હવે ગરબા ગ્રાઉન્ડમાં ઉતરવા માટે આતુર થઈ ગયાં છે. જોકે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવતાં ગરબા રસિકો થોડા નારાજ થયાં હતાં. પરંતુ વરસાદ સહેજ વિરામ લે તો પણ ગરબે ઘુમવાની તૈયારીઓ ખેલૈયાઓએ રાખી હતી. જોકે, સોમવારે પહેલાં જ નોરતે બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. અને પહેલાં ઝરમર અને બાદમાં જોરદાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. જેના કારણે આયોજકો પણ ગરબા મેદાનમાં પાણી ન ભરાય અને તેનો ત્વરિત નિકાલ થાય તે માટેની મથામણમાં જોતરાઈ ગયાં હતાં.
પ્રથમ નોરતે જ વરસાદના વિઘ્નના કારણે ગરબા રમાય તેવી સ્થિતી ન હોવાને કારણે મોટાભાગના ગરબા આયોજકોએ માત્ર માતાજીની આરતી કરી નવરાત્રીની શરૂઆત કરી હતી. તો કેટલાંક સ્થળે સુકનના પાંચ ગરબા ગાઈને માતાજીની અરાધના કરવામાં આવી હતી. જોકે, શહેરી વિસ્તારમાં ગલીમહોલ્લામાં પાણી ઓસરી જવા સાથે મોટાભાગે સિમેન્ટ કોન્સિટના રોડરસ્તા હોવાથી ત્યાં વરસાદ વિરામ લે ત્યારે લોકો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી.
દાંડિયાબજાર શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપૂર નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ રસહેરના દાંડિયાબજાર ખાતે આવેલાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો પ્રવાહ અવિરત વહી રહ્યો હતો. નવરાત્રીના અવસરે મંદિરે ખાસ સજાવટ કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. નવરાત્રીના નવ દિવસ અંબાજી માતાના મંદિરે રોજેરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.
