ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી 13 વર્ષીય સગીર કિશોરી ગુમ થવાની ઘટના સામે આવી છે. કિશોરીના પિતાએ મધ્યપ્રદેશના એક યુવક સામે લગ્ન કરવાની લાલચ આપી પોતાની સગીર પુત્રીનું અપહરણ કરી લઈ ગયાનો ગંભીર આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દહેજ નજીક PCPIR ઓફિસ પાસે રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા કલમસીંહ સુપસિંહ ભુરીયાની 13 વર્ષ 5 મહિનાની પુત્રી મીનાબેન ગત 8 જૂનના રોજ બપોરના સમયે ભાભીના મોબાઇલ ફોનને ચાર્જિંગમાં મૂકવા માટે નજીક આવેલી PCPIR ઓફિસ તરફ ગઈ હતી. જોકે, ત્યારબાદ તે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
ફરિયાદ અનુસાર, પરિવારજનોએ PCPIR ઓફિસ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, પરંતુ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં પરિવારના સભ્યોએ મોબાઇલ કોલ ડિટેઇલ્સ તપાસતાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કરણભાઈ ભાગીયાભાઈ મસાણિયા નામના યુવક સાથે વારંવાર વાતચીત થયેલી હોવાનું જાણવા મળ્યાનો દાવો કર્યો છે.
પરિવારજનોએ વધુ તપાસ કરતાં કરણભાઈ ઘટના બનેલા દિવસે જ મોટરસાયકલ લઈને ગુજરાત તરફ નીકળ્યો હોવાનું જાણવા મળ્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારથી તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કિશોરીના પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં શંકા વ્યક્ત કરી છે કે તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી ભગાડી જવામાં આવી છે. કિશોરી સગીર વયની હોવાને કારણે તેને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
પરિવારજનોએ અનેક સ્થળોએ શોધખોળ કર્યા બાદ પણ કિશોરીનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કિશોરીની શોધખોળ તથા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
