વાંકલ :
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલના ભાગરૂપે સુરત જિલ્લાના અરેઠના કેવડિયા ખાતે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો. માંડવી અને માંગરોળ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના મુદ્દામાલનો કોર્ટના આદેશ અનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન માંડવી ડિવિઝનના ચાર તથા માંગરોળ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનોમાં કુલ 90 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. આ તમામ ગુનાઓમાં પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 1 લાખ 94 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી.
નામદાર કોર્ટના આદેશ બાદ અરેઠના કેવડિયા ખાતે વિશેષ કામગીરી હાથ ધરી આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એસડીએમ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર નાશ કરવામાં આવેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 3 કરોડ 38 લાખ જેટલી થાય છે. કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારની કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોને કડક સંદેશો મળે છે અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બને છે.
