પુત્રવધુને કોઠી વિસ્તારમાં પોતાના ઘરે, વેવણને વ્હોરવાડ ખાતે તેમના ઘરમાં ચપ્પુના ઘા કરી રહેંસી નાંખી
બેવડી હત્યાની વારદાતને લઈને બન્ને બનાવ સ્થળે પોલીસ કાફલો ધસી આવ્યો
ભરૂચ.
ભરૂચમાં ડબલ મર્ડરની સનસનીખેઝ ઘટના બની છે. સસરાએ પોતાની પુત્રવધુને પોતાના ઘરમાં જ રસોડામાં તિક્ષ્ણ હથિયારથી ધા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ પણ તેમનો ગુસ્સો શાંત નહી થતાં પુત્રવધુના પિયરે જઈ તેની માતા પર પણ હિંસક ઘા કરી તેમની પણ નિર્મમ હત્યા કરી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સસરાએ પારિવારીક ઝઘડામાં હત્યાનો ખેલ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવ્યું છે. જોકે, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે શરૂ કરી છે.
ભરૂચ શહેરના કોઠી વિસ્તારમાં રહેતાં ડો. યુસુફ ઝનોરવાલાના લગ્ન શહેરના વ્હોરવાડ વિસ્તારમાં રહેતાં અબ્દુલહુસેન નમકવાલાની પુત્રી એલિફીયા સાથે થયાં હતાં. દાંપત્ય જીવનમાં બે પુત્રીઓનું સુખ મળ્યું હતું. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી એલિફીયાને સાસરિયાઓ સાથે મતભેદ અને મનભેદ ચાલી રહ્યાં હોવાનું સુત્રોએ જણાવ્યું છે.દરમિયાનમાં બુધવારે શહેરના કોઠી અને વ્હોરવાડ વિસ્તારમાં બે અલગ અલગ ઘરમાં બે પરિવારના કુલ ૩ જણા તિક્ષ્ણ હથિયારથી ગંભીર રીતે ઘવાયેલી અને લોહિલુહાણ હાલતમાં મળી આવ્યાં હતાં. જોકે, તે પૈકી માતા-પુત્રીનું મોત થયેલું અને સસરાની હાલત ગંભીર જણાતાં તેમને તાત્કાલિક સારવાર માટ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. સાસરી-પિયરના સભ્યો પર સાગમટે થયેલાં ઘાતક હુમલાથી અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં.
ઘટનાને પગલે પોલીસ કાફલો પણ દોડી આવતાં ટીમે તપાસનો દોર શરૂ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારી વિગત સામે આવી હતી. કોઠી વિસ્તારમાં રહેતાં ડો. યુસુફ ઝનોરવાલાની પત્નીની તેના જ ઘરમાં તેના સસરા ઝેનુલ અબ્બાસ ઝનોરવાલાએ કરપીણ હત્યા કરી હતી. જે બાદ તેમણે શહેરના જ વ્હોરવાડ વિસ્તારમાં રહેતાં તેમના વેવાઇ અબ્દુલહુસેન નમકવાલાના ઘરે ગયાં હતાં. અબ્દુલહુસેન તેમની ચારરસ્તા પર આવેલી દુકાને ગયાં હઈ તેમની પત્ની અને એલિફીયાની માતા શહેનાઝ ઘરે એકલી હોઈ તેના પર પણ ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા કરી તેની પણ હત્યા કરી હતી. જે બાદ તેમણે પોતાના પોતાને પણ બન્ને હાથ, પગ અને ગળાના ભાગે છરી કે ચપ્પુ જેવા હથિયારથી ધા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
