ભરૂચ:
ભરૂચ જિલ્લામાં માછીમારો માટે ચોમાસાના ચાર મહિનાની મહત્વપૂર્ણ માછીમારીની સિઝન શરૂ થઈ છે. ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીના મીઠા પાણીમાં ઈંડા મૂકવા દરિયામાંથી હિલ્સા મચ્છીઓ આવતી હોવાથી ભાડભૂત સહિતના નદી-કાંઠાના વિસ્તારોમાં માછીમારો આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા હોય છે.
ચોમાસા દરમિયાન દશમ કે અગિયારસથી પૂનમ કે પડવા સુધી માછીમારો નદી-દરિયાના સંગમ વિસ્તારમાં નાવડીમાં રહીને માછીમારી કરે છે. ત્યારબાદ કિનારે પરત આવી ત્રણથી ચાર દિવસ સુધી સતત નદીમાં રહી નાવડીમાં જ રહેવા, જમવા અને ન્હાવા-ધોવાની વ્યવસ્થા કરે છે. આ સિઝન માછીમારો માટે આવકની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.
ગત જૂવારમાં હિલ્સા મચ્છીનો સારો ફાલ મળ્યો હોવાથી આ વખતે પણ અગાઉ કરતાં વધુ સારો ફાલ મળશે તેવી આશા માછીમારો રાખી રહ્યા છે. ભાડભૂત ગામના સામાજિક આગેવાન કમલેશભાઈના જણાવ્યા મુજબ આ વખતે માછીમારી સારી રહેવાની શક્યતાઓ છે. ગુરુવારે સાંજથી કેટલાક માછીમારો જ્યારે શુક્રવારે અન્ય માછીમારો બીજા જૂવારની માછીમારી માટે નાવડીઓ સાથે રવાના થયા હતા.
માછીમારો ચોમાસાના આ ચાર મહિનામાં થતી કમાણીમાંથી આખા વર્ષના પરિવારના ગુજરાન ઉપરાંત બાળકોના અભ્યાસ, લગ્ન સહિતના ખર્ચની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરે છે. પૂરતો ફાલ ન મળે તો ભાડભૂત ખાતે આવતા મોટા વેપારીઓ તરફથી પણ માછીમારોને આર્થિક સહાય મળતી હોવાનું જાણવા મળે છે. હિલ્સા મચ્છીની માગ વધતા આગામી ચાર દિવસ માછીમારોની સાથે મચ્છીના વેપારીઓ અને ગ્રાહકોની પણ નજર માછીમારીના ફાલ પર રહેશે.
ભાડભૂત બેરેજને લઈ માછીમારોમાં હજુ પણ મુંઝવણ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં થતી હિલ્સા મચ્છીની માછીમારી અને તેના વેપારનો વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયાનો હોવાનું માછીમારોનું કહેવું છે. નદી કાંઠાના ગામોમાં વસતા 20 હજારથી વધુ પરિવારો માછીમારી સાથે સંકળાયેલા હોવાનું જણાવાય છે.ભાડભૂત ખાતે બની રહેલી વિયર કમ કોઝવે યોજનાને લઈને માછીમારોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે. ભવિષ્યમાં આ યોજનાને કારણે હિલ્સા મચ્છીની આવનજાવન અને માછીમારીની વ્યવસ્થા પર અસર થવાની દહેશત માછીમારો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તંત્રના જણાવ્યા મુજબ ભાડભૂત બેરેજ યોજનામાં હિલ્સા મચ્છી ઈંડા મૂકવા માટે નદીમાં આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
