માંગરોળ તાલુકાના સેલારપુર ગામની સીમમાંથી પસાર થતા હાઇવે રોડ પર રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેડિયમ રિફ્લેક્ટર વગરના ટ્રેક્ટરની પાછળ બાઈક અથડાતા બાઈક ચાલક ૧૯ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મળતી માહિતી મુજબ, સેલારપુર ગામના ભગત ફળિયામાં રહેતા ચેતનભાઈ વસાવાનો પુત્ર ચિરાગ વસાવા (ઉં.વ. ૧૯) અમરકુઈ ગામની ક્વોરીમાં ડ્રાઈવિંગનું કામ કરતો હતો. રાત્રે આશરે ૯:૧૫ વાગ્યે ચિરાગ પોતાની હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ (નં. GJ-19-BP-5755) પર મિત્ર સુરેન્દ્રકુમાર રામસિંગભાઈ વસાવાને પાછળ બેસાડી કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો.
દરમિયાન સેલારપુરની સીમમાં વાંકલથી ઝંખવાવ જતા હાઇવે રોડ પર આગળ ચાલી રહેલા ટ્રેક્ટર (નં. GJ-19-B-3702) સાથે અકસ્માત સર્જાયો હતો. આરોપ છે કે ટ્રેક્ટરની પાછળ જોડાયેલી પાણીની ટેન્કર પર કોઈ રેડિયમ કે રિફ્લેક્ટર લગાવેલા ન હતા. તેમજ રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી ઘોર અંધારામાં બાઈક ચાલકને ટ્રેક્ટર દેખાયું ન હતું અને બાઈક સીધી ટેન્કર પાછળ અથડાઈ હતી.
અકસ્મતમાં બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચિરાગ વસાવાને ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુરેન્દ્રકુમારને વધુ સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ મામલે ઝંખવાવ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક દિનેશભાઈ ચુડાસમા (રહે. ઝંખવાવ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
