અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામે પવિત્ર શલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ખોડલધામ મંદિરનો 14મો પાટોત્સવ આજે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.
પાટોત્સવ પ્રસંગે મંદિરને રંગબેરંગી તાજા ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને માતાજીના દર્શન માટે ભાવિકોની સતત અવરજવર જોવા મળી હતી.
કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન-પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મહા આરતી બાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી ખોડલધામ મંદિરના મહંત શ્રી ધનેશભાઈ ભગતે ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન આપતાં ધાર્મિક જીવનમાં સેવા, સંસ્કાર અને ભક્તિના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
સમગ્ર પાટોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો. મંદિર ટ્રસ્ટ અને ગામના આગેવાનો તેમજ સેવાભાવી કાર્યકરોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર જય ખોડલના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
