ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ખોજબલ ગામમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહની હાલતને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ યુવાનની ઓળખ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના ગળા પર કપડું વિંટાળાયેલું જોવા મળ્યું હોવાનું સામે આવતા ઘટનાએ વધુ રહસ્ય સર્જ્યું છે. શું યુવાનનું મોત આત્મહત્યા છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે? તે અંગે હાલ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાની કામગીરી શરૂ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ ઘટનાની વધુ કડીઓ મળી શકે તેવી શક્યતા છે.
મૃતકના દેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે.
હાલ વાગરા પોલીસ આ મામલે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
