વાંકલ :
માંગરોળ તાલુકામાં ગણેશોત્સવ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી DYSP બી.કે. વનારે દ્વારા માંગરોળ અને વાંકલ ખાતેના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન DYSP વનારે શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગણેશ મંડળોના આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને અને ભક્તો સુરક્ષિત વાતાવરણમાં દર્શન કરી શકે તે માટે DYSP દ્વારા આયોજકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આયોજકોને પંડાલ તથા આસપાસના વિસ્તારમાં સતત નજર રાખી શકાય તે માટે યોગ્ય ગુણવત્તાવાળા CCTV કેમેરા ફરજિયાતપણે લગાવવા સૂચના આપવામાં આવી હતી. શોર્ટ સર્કિટ અથવા આગના બનાવો સામે તકેદારી રાખવા પંડાલમાં પૂરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનો રાખવા પણ જણાવાયું હતું.
આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ માટે લાઈનસર દર્શનની વ્યવસ્થા ગોઠવવા તથા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે યોગ્ય આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા ગણેશ મંડળોના આયોજકોને શિસ્તબદ્ધ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. આયોજકોએ પોલીસની સૂચનાઓને આવકારી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાની ખાતરી આપી હતી.
