રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં કુલ 3,738 શિક્ષકોની ભરતી કરવા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અનુદાનિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે તેમજ શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા રાષ્ટ્રીય શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE) હેઠળ નિર્ધારિત વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરના ધોરણો મુજબ હાથ ધરવામાં આવશે.
આયોજન મુજબ ધોરણ 1થી 5 માટે 1,101 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જ્યારે ધોરણ 6થી 8 માટે 2,637 શિક્ષકોની નિમણૂક થશે. ઉપરાંત, શાળાઓના સંચાલન અને વહીવટને વધુ અસરકારક બનાવવા માટે 396 મુખ્ય શિક્ષકોના મહેકમનું પણ ધોરણો અનુસાર નિર્ધારણ કરવામાં આવશે.
જિલ્લાવાર ખાલી જગ્યાઓ અને વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અંતિમ મહેકમ નક્કી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO), તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) તેમજ અન્ય સંબંધિત શાસનાધિકારીઓને જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થવાની સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
