ભરૂચ :
ભરૂચ જિલ્લાના મેહગામ ગામમાં રાઠોડ સમાજ માટેના સ્મશાનમાં પાયાની સુવિધાઓના અભાવે સમાજના લોકોને અંતિમવિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદથી બચવા માટે બંગલી (શેડ) સહિતની કોઈ વ્યવસ્થા ન હોવાથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે દરિયા કિનારે જવાની ફરજ પડતી હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્મશાનમાં અંતિમવિધિ માટે જરૂરી બંગલી, બેસવાની વ્યવસ્થા તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાથી શોકગ્રસ્ત પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદી માહોલમાં અગ્નિસંસ્કાર કરવો મુશ્કેલ બનતો હોવાથી વિકલ્પરૂપે દરિયા કિનારે જવું પડે છે, જે અત્યંત અસુવિધાજનક અને જોખમી સ્થિતિ સર્જે છે.
સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ગામના અન્ય સમાજોના સ્મશાનમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યારે રાઠોડ સમાજના સ્મશાનની લાંબા સમયથી અવગણના થઈ રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સમાજમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
રાઠોડ સમાજના આગેવાનોએ સંબંધિત તંત્ર સમક્ષ ફરી એકવાર રજૂઆત કરી સ્મશાનમાં બંગલી, વરસાદથી રક્ષણ માટે શેડ તેમજ અન્ય જરૂરી પાયાની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અંતિમવિધિ જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન શોકગ્રસ્ત પરિવારોને અગવડતા ભોગવવી પડે તે યોગ્ય નથી. તેથી તંત્ર આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ જરૂરી વિકાસકાર્યો હાથ ધરે તેવી સમાજજનોએ માંગણી કરી છે.
