ભરૂચ :
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિર ખાતે મહાદેવજીને બિલ્વાર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાનું માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કરી સુખ-શાંતિ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
આ પ્રસંગે મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં શાસ્ત્રી હિતેશભાઈ વ્યાસ મહારાજે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીની પૂજા-અર્ચના કરાવી હતી. શ્રદ્ધાભેર બિલ્વાર્પણ કરી વિશ્વના કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, હેમલ દવે, ધર્મેશ ભટ્ટ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા, પિયુષભાઈ વીણ સહિત સંગઠન તથા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક મહાદેવજીની બિલ્વપૂજાનો લાભ લીધો હતો.
