માંગરોળ તાલુકાના નાની-નરોલી ગામે ગૌચરમાં માટી ખનન મુદ્દે ગ્રામસભા તોફાની બન્યા બાદ મામલો વધુ ગરમાયો છે અને હવે ગ્રામ પંચાયતના આઠ જેટલા ચૂંટાયેલા સભ્યોએ ગ્રામ પંચાયતના શાસકો વિરુદ્ધ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
નાની નરોલી ગામે ચાંદણીયા વગામાં સર્વે નંબર 65 અને બ્લોક નંબર 110 વાળી સરકારી ગૌચર ની જમીનમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહેલ માટી ખનન મુદ્દે બળવંતભાઈ દેવજીભાઈ નામના નાગરિકે તારીખ 18 મીના રોજ યોજાયેલી નાની-નરોલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રજૂઆત કરતા આ મુદ્દે ગ્રામસભા તોફાની બની હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો જેમાં ગ્રામ પંચાયતના શાસકો દ્વારા કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ અરજી પણ આપવામાં આવી હતી આ સંદર્ભે ગ્રામજનોએ કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતના શાસકો એ માટી ખનનની ફરિયાદ મુદ્દે ઉશ્કેરાઈ જઈ અભદ્ર ભાષા બોલી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું વિપક્ષના સભ્યો જણાવી રહ્યા છે આ મુદ્દે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વિપક્ષી સભ્ય અબ્દુલ યુસુફ દિવાન, સતીશ ઈશ્વર પરમાર, હાજરા બીબી સબીર શાહ, ફાતમા શબ્બીર જાડા, રેહાના ઉસ્માન ગની ભુલા, સુમનબેન બાબુભાઈ વસાવા, વિષ્ણુભાઈ ડાયાભાઈ વસાવા, કમુબેન હીરાભાઈ વસાવા, સહિત કુલ આઠ જેટલા સભ્યોની સહી સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ માંગરોળના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરેને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે હાલમાં ગૌચરની જમીન માં તળાવ બનાવવાના નામે લોકોને ગેરમાર્ગે દોરી બિનઅધિકૃત માટી ખનન કરવામાં આવી રહ્યું હતું હકીકતમાં નાની નરોલી ગામે તળાવ આવેલું છે અને આ તળાવ ઊંડું કરવાના નામ પર બીજી જગ્યાએ માટી ખનન થઈ રહ્યું છે સરકારના નીતિ નિયમનો ભંગ કરી ગૌચરની જમીન બિનઅધિકૃત રીતે આપવાની પેરવી થઈ રહી છે જેમાં નાણાકીય રીતે મોટી ગેરરીતી થવાની શંકા અમે વ્યક્ત કરીએ છીએ. આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
