ભરૂચ.
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા, પ્રાયોજના વહીવટદાર તેમજ અન્ય પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાષ્ટ્રીય અન્નય સલામતી કાયદો ૨૦૧૩ યોજના હેઠળ ઘઉં, ચોખા અને ફી સેલ ખાંડના જથ્થાની સમીક્ષા તેમજ વ્યાજબી ભાવની દુકાનોના સ્થળફેર કરવા બાબતે આવેલી રજુઆતોની સમીક્ષા કરી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના પ્રશ્નો અને રજુઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકારના સભ્યોને વિવિધ માર્ગદર્શક સુચનો કર્યા હતા. જિલ્લાના રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે, ગેરરિતીઓ અટકે તે માટે વિવિધ સ્થળોએ પુરવઠા વિભાગ દ્વારા સતત તપાસણીઓ કરી કશુરવારો સામે નિયમોનુસારની જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભુતીબા યાદવ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
