– સબજેલના સ્ટાફ અને પરિવાર માટે બનાવાયેલા 61 આવાસોનું લોકાર્પણ કર્યું
પહેલગામમાં આતંકી હુમલા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા અને પોલીસ તંત્ર સાથે વિવિધ વિષયો પર બેઠક યોજી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે બપોરે ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક માટે આવી પોહચ્યા હતા. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારા સભ્યો અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, મહેન્દ્રસિંહ વાસદિયા સહિતના સાથે બેઠક યોજી હતી.
ભરૂચ જિલ્લો અત્યંત સંવેદનશીલ હોવા સાથે ઔધોગિક ગઢ 122 કિલોમીટરનો દરિયા કાંઠો પણ ધરાવે છે ત્યારે સુરક્ષા અને સલામતી અંગેના વિવિધ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના સુરક્ષા, સલામતી સાથે વિવિધ વિષયો પર પણ વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.
ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના સલાહ, સુચન અને ફરિયાદો પણ ગૃહમંત્રીએ સાંભળી તેનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. તો ભવિષ્યમાં જિલ્લામાં ક્યાં વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરવાની જરૂર છે તેના પર પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
સાથે જ ગૃહમંત્રીએ સબજેલના સિપાહી, સ્ટાફ પરિવારો માટે નિર્મિત 61 આવાસોનું પણ લોકાર્પણ કર્યું હતું. જોકે તેઓએ પહેલગામની આતંકી ઘટના અને ગુજરાતમાં સુરક્ષા અંગે વડોદરામાં વિસ્તારથી માહિતી અપાઈ હોય ભરૂચના મીડિયાને કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
