નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ પાસે બનેલી ઘટના
ભરૂચ
નર્મદા જિલ્લાના જૂના રાજૂવાડિયા ગામે રહેતાં ફુલવંતીબેન અશોકભાઇ વસાવાના પતિની એક કૌટુંબિક બહેન નેત્રંગ તાલુકાના સજણવાણ ગામે રહેતી હોઇ તેમની પુત્રીનું લગ્ન હોવાથી તેમનો પરિવાર લગ્ન પ્રસંગમાં જવા માટે નિકળ્યો હતો. તેઓ મોસાળું લઇને સજનવાણ ગામે પહોંચતાં ત્યાં વાવાઝોડું આવતાં મોસાળું ભર્યું ન હતુ઼. અરસામાં તેમનો પતિ અશોક વસાવા તેમજ તેમના નણંદના પતિ બાબુભાઇ ભોગીલાલ વસાવા બન્ને તેમની બાઇક લઇને હમણાં થોડી વારમાં આવું છું કહીં પ્રસંગમાંથી ક્યાંક જતાં રહ્યાં હતાં. વાવાઝોડાની અસર પૂરી થતાં મોસાળું ભરવાનું હોઇ તેઓ અશોકભાઇ તેમજ બાબુભાઇની રાહ જોઇ રહ્યાં હતાં. જોકે, તેઓ નહીં આવતાં તેઓએ મોસાળું ભરીને લગ્ન પ્રસંગ પુરો કર્યો હતો. લગ્ન પુરા થવા છતાં બન્નેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ વરસાદી માહોલ હોવાથી તેઓ ત્યાં જ રોકાઇ ગયાં હતાં. દરમિયાનમાં બીજા દિવસે સવારે 6 વાગ્યાના અરસામાં વણખૂંટા ગામના બે છોકરાઓએ આવીને જણાવ્યું હતું કે, જેસપોરથી વણખૂંટા ગામે જવાના રોડ પરના વળાંકવાળા નાળા નજીક એક બાઇકનો અકસ્માત થયો છે અને બે જણા સ્થળ પર મરણ ગયેલી હાલતમાં પડેલાં છે. તેઓએ મૃતકના ફોટા બતાવતાં તે ફોટા તેમના પતિ અશોક વસાવા તેમજ બાબુભાઇ વસાવા ના હોવાનું માલુમ પડતાં પરિવારજનોના પગ નીચેની જમીન સરકી ગઇ હતી. તેઓએ તુરંત સ્થળ પર પહોંચતાં તેમની બાઇક સ્લીપ ખાઇ જતાં તેમને અકસ્માત નડતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હોવાને કારણે સ્થળ પર જ મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ થતાં નેત્રંગ પોલીસે દોડી આવતાં બન્નેના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
