દાહોદની યુવતિને ભગાડી ગયેલા શખ્સનો સાથી હોવાની શંકાએ અપહરણ કર્યુ હતુ
1 ભરૂચ !
ભરૂચના તુલસીધામ શાકમાર્કેટ પાસેથી ગુરૂવારે સાંજના સમયે બોલેરોમાં આવેલા બે શખ્સોએ શહેરના મકતમપુર વિસ્તારમાં રહેતા જનાર્દન રાજભર નામના શખ્સનું અપહરણ કરીને ભાગી ગયા હતા. ઘટનાના પગલે ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકે કરિયાદ નોંધાતા પોલીસે અપહરણકારોને શોધવા માટેની તેમજ અપહ્યુતને છોડાવવા માટેની કવાયત શરૂ કરી હતી.
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા અપહરણકારોની બોલેરો કારનો નંબર મળતા તેના આધારે ટીમે તપાસ શરૂ કરતા તે કાર દાહોદની હોવાનું માલુમ પડયુ હતુ. ટેકનીકલ સર્વેલન્સની મદદથી સી.ડીવીઝન પોલીસે તપાસને આગળ વધાવી હતી. જેમાં અપહરણકારો અપહ્યુત જનાર્દનને દહોદ લઈ ગયા હોવાનું માલુમ પડતા એક ટીમ તુરંત દાહોદના ગરબાડા ખાતે પહોંચી હતી. તેમણે અપહરણકારો કમલેશ માનજી ભુરા તેમજ સર્વિન ઉર્ફે શ્રવણ ચંદુ ગમક્ષવાને ઝડપી પાડયા હતા. અપહરણકારોએ નાંદવા ગામ ખાતે આવેલા એક ઘરમાં અપહ્યુત જનાર્દન રાજભરને ગોંધી રાખ્યો હોવાનું માલુમ પડતા પોલીસે આરોપીઓને સાથે રાખી તેને છોડાવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં માલુમ પડયુ હતુ કે, કમલેશ ભૂરાના ગામની એક યુવતિને જનાર્દન રાજભર સાથે કામ કરતો સંજય નામનો શખ્સ ભગાડી ગયો હતો. જનાર્દનને સંજય ક્યાં છે તેની જાણ છે તેમ તેઓ માની રહ્યા હોય તેમણે તેની પાસેથી જનાર્દનનું લોકેશન મેળવવા તેનુ અપહરણ કર્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે અંત્રેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.
