કઇ કંપની કે ભંગારિયા દ્વારા નર્મદા નદીમાં શું કેમિકલ યુક્ત પાણી ઠલવાય છે ? તે તપાસનો વિષય
ભરૂચ.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીને લોકો દુષિત કરી રહ્યાં છે. ભરૂચ અંક્લેશ્વરમાં નદી કિનારે આપણે ચક્કર મારીએ ત્યારે ઘણી બધી વરસાદી કાંસ નર્મદા નદી સાથે જોડાય છે. જોકે, તેની સાથે સાથે ઘણી બધી ગટરોનું ગંદુ અને મલીન પાણી પણ નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.

કેટલાંક સ્થળે જ્યારે આપણે જોઇએ છીએ ત્યારે ત્યાં ફિણવાળું અશુદ્ધ પાણી વહેતું દેખાય છે. ત્યારે આ પાણી કોઇ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંસ કે ગટરમાં ઠાલવી રહ્યું છે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે. કેમિકલયુક્ત પાણી નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની માછીમારી અને જીવસૃષ્ટિને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. નદીનાં પ્રવાહમાં ભળી રહેલા કેમિકલ, પેસ્ટીસાઇડ્સ અને અન્ય અશુદ્ધિઓનાં કારણે નદી તેમજ આજુબાજુની જમીન સાથે ખેતીને ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે. ત્યારે નર્મદા નદીના વિસ્તારમાં કે કોસ્ટલ ઝોનમાં જે કોઈ પાણી પ્રદુષણ થઈ રહ્યું છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.

ભરૂચ જિલ્લામાંથી પસાર પાવન મા સલીલા નર્મદા મૈયા માટે કહેવાય છે કે, ગંગામાં સ્નાન અને નર્મદાના માત્ર દર્શનથી લોકોના પાપ દૂર થાય છે. જોકે, આટલી પવિત્ર નદીને દુષિત કરવામાં અસામાજિક તત્વો સહેજ પણ વિચારતા નથી. ત્યારે નર્મદા નદીને દુષિત કરનારા કોણ છે? તેમનામાં આટલી હિંમત કેમ આવે છે? શું તેમની પાછળ કોઇ રાજકિય પિઠબળ છે કે પછી તેઓ વહિવટી તંત્રને ચેલેન્જ ફેંકી રહ્યાં છે કે અમે તો આમ જ કરીશું તમારાથી થાય તે કરી લો. ખરેખર, હવે વહિવટી તંત્ર આળસ ખંખેરીને આવા માથાભારે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
શું બીડીએમએને નર્મદામાં દુષિત પાણી અટકાવવામાં રસ નથી? બીડીએમએ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઇને આગળ આવીને કામ કરે છે. જોકે, નર્મદા નદીને પ્રદુષિત કરવાના આ કારસાને ડામવા માટે બીડીએમએને કોઇ રસ ન હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. અગાઉ નર્મદા નદી પર રિવર ફ્રન્ટ બને તે માટે બીડીએમએ દ્વારા રજૂઆતો કરાઇ હતી. જે ભરૂચવાસીઓ માટે સારી વાત છે પરંતુ રિવર ( નદી) ક્લિયર (સ્વચ્છ) હોય તે માટે વહિવટી તંત્ર સાથે મળીને અસરકારક કામ કરે તો રિવર ફ્રન્ટ સારું બને તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
કલેક્ટરની પર્યાવરણની સુરક્ષા માટેની લાગણીઓ પર માથાભારે તત્વો પાણી ફેરવી રહ્યા છે?તાજેતરમાં જ આગામી 5મી જૂન એટલે કે પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લોકજન જાગૃતિના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે બેઠક મળી હતી. જેમાં આગામી તા.૫ જૂન દરમિયાન “આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ- Beat Plastic Pollution” થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. એક તરફ કલેક્ટર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. ત્યાં બીજી તરફ માથાભારે તત્વો આ પ્રકારે નર્મદાને દુષિત કરીને તેમની લાગણીઓ પર મલીન પાણી ફેરવી રહ્યાં છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

તાજેતરમાં જ આગામી 5મી જૂન એટલે કે પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં લોકજન જાગૃતિના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે બેઠક મળી હતી. જેમાં આગામી તા.૫ જૂન દરમિયાન “આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ- Beat Plastic Pollution” થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. એક તરફ કલેક્ટર દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. ત્યાં બીજી તરફ માથાભારે તત્વો આ પ્રકારે નર્મદાને દુષિત કરીને તેમની લાગણીઓ પર મલીન પાણી ફેરવી રહ્યાં છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.