ભાજપ જિલ્લા પ્રમુખે પત્ર લખ્યો, ઔદ્યોગિક વસાહતમાં તાત્કાલિક સારવારની સુવિધા નથી
। ભરૂચ !
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. તેમાંય દહેજ અને આસપાસનો જીઆઈડીસીનો વિસ્તાર હાલમાં સતત વિકસીત થઈ રહ્યો છે. જોકે, દહેજ-સાવધા, વિલાયત સહિતની જીઆઈડીસીઓ વાગરા આ વિસ્તારમાં અને તેમાંય ખાસ કરીને દહેજ પંથકમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલાં છે. ત્યારે કંપનીઓમાં કોઈને કોઈ ઘટના બનતી હોય છે.
આવા સંજોગોમાં અસરગ્રસ્ત કે ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે ભરૂચ સુધી લંબાવું પડે છે. અને તેના કારણે અનેકવાર ત્વરિત સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત થયાની ઘટનાઓ પણ બને છે. જેના કારણે દહેજ પંથકમાં મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તેવી માગ વધી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રકાશ મોદીએ ગાંધીનગરના ઉદ્યોગભવન ખાતે વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીઆઈડીસી, ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે દહેજ પંથકમાં ૪૦૦ એડની મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દહેજ એક મહત્વપુર્ણ ઔદ્યોગિક વિસ્તાર છે જવાં મોટા પાયે કર્મચારીઓ રસાયણિક અને ભારે ઉદ્યોગોમાં કાર્યરત છે. ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક આરોગ્ય સેવાની ઉપલબ્ધી સીમિત છે. હાલમાં આવી હોસ્પિટલની તાત્કાલીક જરૂરિયાત છે.આ હોસ્પિટલ દહેજ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને સશકત બનાવવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવશે અને સ્થાનિક લોકો તથા ઉદ્યોગ ક્ષેત્ર માટે લાંબા ગાળાની લાભદાયી સાબિત થશે.
