ઉચાપતનો ઘટસ્ફોટ થતાં 72 લાખ ભર્યાં, 21.58 લાખ હજી બાકી
વાલિયા પોલીસે ઠગાઇ-વિશ્વાસઘાત અને ગેરરીતિનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
વાલિયામાં આવેલી એસબીઆઇી બેન્કના બ્રાન્ચ મેનેજરે ખાતેદારોની સંમતિ વિના તેમના ખાતામાં રૂપિયાની હેરાફેરી કરી કુલ 93.58 લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી. જોકે, ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં વાત આવતાં તેમણે મામલાની તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાાં તેમણે 72 લાખ રૂપિયા પરત જમા કર્યાં હતાં. જ્યારે 21.58 લાખ રૂપિયા હજી બાકી હોઇ બેન્ક સત્તાધિશોએ વાલિયા પોલીસ મથકે તેમની સામે ઉચાપત, ગેરરીતિ, છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના કસક સર્કલ પાસે આવેલી મેરીડિયન સોસાયટીમાં રહેતાં શૈલેન્દ્ર કાશીરામ કસ્વા 2024ના 20 મે થી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વાલિયા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરીએ લાગ્યાં હતાં. તેમના પહેલાં બ્રાન્ચ મેનેજર તરીકે અજય શંકર પવાર (રહે. પ્રિતમ સોસાયટી-1, કસક) 02 જૂલાઇ 2021થી 17 મી મે 2024 સુધી ફરજ બજાવતાં હતાં. તેમણે તેમના કાર્યકાળ દરમિયાનમાં બેન્કમાં રૂપિયાની ગેરરીતિ કરી હોવાથી તેને બદલી કરીને ભરૂચની પ્રિતમનગર બ્રાન્ચમાં મુકવામાં આવ્યાં છે. દરમિયાનમાં તેમણે કરેલી ઉચાપતની આંતરિક તપાસમાં તમામ વિગતો મળતાં તેમાં તેમણે અલગ અલગ ખાતેદારોના ખાતાઓમાં તેમની પરવાનગી મેળવ્યા વિના જ રૂપિયાની હેરાફેરી કરી તેમણે કુલ 93.58 લાખની ઉચાપત કરી હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, બાદમાં તેમણે તે પૈકીના 72 લાખ રૂપિયા ખાતાઓમાં પાછા જમા કર્યાં હતાં. જ્યારે 21.58 લાખ રૂપિયા હજી પરત ભરવાના બાકી હતી. પ્રાથમિક તપાસમાં તમામ વિગતો એકત્ર કરી હતી જે બાદ તેના આાધરે હાલના બેન્ક મેનેજર શૈલેન્દ્ર કસ્વાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
