દુષિત પાણી પિવાને કારણે પુત્ર બિમાર પડતાં પરિવારના આક્ષેપ
। ભરૂચ ।
ભરૂચ શહેરમાં આવેલાં અપના પર સોસાયટીના રહિશોએ પાલિકા દ્વારા અપાતું પાણી દુષિત હોવાને કારણે લોકોના આરોગ્યને લઈને પ્રશ્નો સર્જાયાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. પાલિકા દ્વારા અપાતાં પાણીને ઉકાળવામાં આવતાં તેમાં સફેદ રેશા જેવું બની જતું હોવાનો આક્ષેપ રહિશોએ કર્યો છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં મીઠું પાણી પુરૂપાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ શહેરમાં આવેલી અપનાઘર સોસાયટીમાં રહેતાં મનહર મહેતા નામના એક રહિશે આક્ષેપ કર્યા છે કે, નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પિવાનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે. જેના કારણે લોકોના આરોગ્યને લઈને પ્રશ્ન ઉભો થયો છે. તેમનો પુત્ર પાલિકા દ્વારા અપાતું ગંદુ પાણી પિવાને કારણે બિમાર પડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો છે. પાલિકામાં તે બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ભરાતાં નથી. ચારેક દિવસ પહેલાં પાળિકા દ્વારા પાણીના નમુના લેવામાં આવ્યાં હતાં. જોકે, હજી સુધી તેઓ કોઈ રિપોર્ટ પણ મળ્યો નથી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં કે, પાલિકા દ્વારા અપાતા પાણીને ઉકાળવામાં આવે તો તેમાં સફેદ રેશા તેમજ ગઠ્ઠા જેવી પરત દેખાય છે. પાલિકા દ્વારા તાકિદે એક્શનમાં આવી વિસ્તારની પાણીની પાઈપ લાઈનો નો સરવે કરી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.
