ભરૂચ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરાએ પાણીજન્ય રોગચાળાથી બચવા માટેના ઉપાયો જણાવ્યાં : પાણીને સારી રીતે ઉકાળીને પીવો, પાણી ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે
આ સાથે જ ભોજનની સ્વચ્છતાનું પણ ખૂબ મહત્વ છે. ખુલ્લા, વાસી અથવા ગંદા હાથથી બનેલાં ખોરાકથી પાણીજન્ય રોગો વધે છે, તેથી તાજા, સ્વચ્છ અને ઘરે રાંધેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ. ખોરાક તૈયાર કરતાં અને પીરસતાં પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ ઉપરાંત ઘન કચરાના નિયમિત નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કચરો એકઠો થવો એ માખીઓ અને અન્ય જીવાતોને ઉછેરે છે જે ખોરાક અને પાણીને ચેપ લગાવી શકે છે.
ઉપરાંત વારંવાર હાથ ધોવા ખાસ કરીને શૌચ પછી, ખોરાક રાંધતા પહેલાં અને બાળકોને ખવડાવતા પહેલાં હાથને સાબુથી અથવા રાખથી સારી રીતે ધોવા જોઈએ જે પાણીજન્ય રોગોને રોકવાનો એક સરળ પરંતુ અત્યંત અસરકારક માર્ગ છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં સ્વચ્છતા અને સતર્કતાને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ. જો આપણે પીવાના પાણીની સલામતી, સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપીએ, તો આપણે આપણી જાતને અને આપણાં પરિવારોને પાણીજન્ય રોગચાળાથી બચાવી શકીએ છીએ.
